ગુજરાત સરકાર દ્વારા સંસ્કૃત વિભાગના પ્રાધ્યાપક ડો. જગત તેરૈયાનો મેજર રીસર્ચ પ્રોજેક્ટ મંજૂર થયો.
18/11/2025
Dh. College - Rajkot
ધર્મેન્દ્રસિંહજી આર્ટ્સ કોલેજના આચાર્યશ્રી ડો. પરેશ રાવલના સતત માર્ગદર્શન હેઠળ કોલેજમાં સતત સંશોધનાત્મક અને સકારાત્મક વેગે ઉચ્ચ શિક્ષણમાં વિવિધ કાર્યો થઈ રહ્યા છે ત્યારે રાજ્ય સરકાર દ્વારા ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે સંશોધન કાર્યોને પ્રોત્સાહન આપવા માટે શરૂ કરાયેલ રિસર્ચ ફેલોશિપ યોજનામાં આ વર્ષે રાજ્યભરના વિવિધ યુનિવર્સિટીઓમાંથી કુલ 130 પ્રોજેક્ટોની પસંદગી કરવામાં આવી છે. આ પસંદગીમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, રાજકોટના કુલ 7 અધ્યાપકોનો સમાવેશ થયો. યુનિવર્સિટી માટે ગૌરવની બાબત છે. આ પ્રસંગે વધુ એક વિશેષ ગૌરવની વાત એ છે કે પસંદ થયેલા 7 અધ્યાપકોમાંથી ધર્મેન્દ્રસિંહજી આર્ટ્સ કોલેજ, રાજકોટના ત્રણ અધ્યાપકોની પસંદગી થઈ છે, જેમાં સંસ્કૃત વિભાગના ડૉ. જગત તેરૈયાને “NEP-2020 હેઠળ ભારતીય જ્ઞાન પરંપરા (IKS) ના સંદર્ભમાં, વાલ્મીકિ રામાયણ અને તુલસીકૃત રામાયણના આધારે, સાંપ્રત પરિપ્રેક્ષ્યમાં રામાયણમાં નૈતિક મૂલ્યોનું મૂલ્યાંકન:એક સંશોધનાત્મક અભ્યાસ” શીર્ષક હેઠળ મેજર રીસર્ચ પ્રોજેક્ટ મંજૂર થયો. આ ઉપરાંત તત્વજ્ઞાન વિભાગના ડૉ. ભાવેશ કાછડીયાને “જૈનના શતાવધાન ખ્યાલ સાથે ન્યાય દર્શનના પ્રત્યક્ષ પ્રમાણના ખ્યાલનો તુલનાત્મક અભ્યાસ” અને ડૉ. તૃપ્તિ ગજેરાને “વિદ્યારણ્યસ્વામી કૃત ‘પંચદશી’ માં બ્રહ્મનું સ્વરૂપ અને મહાવાક્ય વિવેક : એક અભ્યાસ” વિષયો ઉપર રીસર્ચ પ્રોજેક્ટ મંજૂર થયેલ છે. રાજ્ય સ્તરે સર્જનાત્મક અને મૂલ્યાધારિત સંશોધન ક્ષેત્રે આ ત્રણેય અધ્યાપકોના વિદ્વત્તાપૂર્વકના પ્રોજેક્ટોને ઊંચા મૂલ્યાંકનના આધારે પસંદ કરવામાં આવ્યા છે. આ ફેલોશિપ હેઠળ સંશોધકોને મહત્તમ 1 થી ૩ લાખ રૂપિયાની નાણાકીય ગ્રાન્ટ આપવામાં આવશે, જેના દ્વારા તેઓ પોતાના સંશોધન કાર્યોને વધુ વૈજ્ઞાનિક, આધુનિક અને પ્રયોગ આધારિત બનાવી શકશે. આ સહાય દ્વારા કોલેજમાં સંશોધન પ્રવૃત્તિઓને વધુ ગતિ મળશે તથા વિદ્યાર્થીઓને પણ સંશોધન કાર્યો પ્રત્યે પ્રેરણા મળશે. ધર્મેન્દ્રસિંહજી આર્ટ્સ કોલેજના પ્રિન્સિપાલશ્રી ડો. પરેશ રાવલ અને સ્ટાફ સભ્યો તેમજ સમગ્ર શૈક્ષણિક વર્તુળે ત્રણેય પસંદ થયેલા અધ્યાપકોને અભિનંદન પાઠવ્યા છે.




